વડોદરા: અહમદ પટેલનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેનમાં લવાયા બાદ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે જ્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે. અહેમદ પટેલના નિધન બાદ પિરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.


આજે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ દેહ વડોદરા લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે. આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ થશે.

વડોદરા એરપોર્ટ ઉપર થી એમ્બ્યુલન્સમાંથી પાર્થિવદેહને બહાર લાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કૉંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ તથા હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલ તેમના પાર્થિવદેહને અંકલેશ્વર જવા રવાના કરવામાં આવ્યો છે. અહમદ પટેલની દફન વિધિમાં હાજરી આપવા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે 3.30 વાગે નિધન થયું હતું. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી હતી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.