પોરબંદર: બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. હવે આ કડીમાં પોરબંદર જિલ્લાની તમામ સરકારી,ગ્રાન્ટેડ,સેલ્ફ ફાઇનાન્સ,પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શનિવારનો રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવાયો છે. શાળાના સમગ્ર સ્ટાફે રાબેતા મુજબ શાળા ખાતે હાજર રહેવાનું રહેશે. 


બિપોરજોય વાવાઝોડાને કારણે આ પરીક્ષા મોકૂફ, હસમુખ પટેલે આપી માહિતી


બિપોરજોય વાવાઝોડાને લઈને શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે તો બીજી તરફ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.


હસમુખ એચ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બિપોરજોય ચક્રવાતને લીધે સર્જાયેલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાર્થીઓના વ્યાપક હિતને અનુલક્ષીને સદર ખાતાકીય પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી (Postponed) રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે સંબંધિત પરીક્ષાર્થીઓને નોંધ લેવા આથી જાણ કરવામાં આવે છે. ખાતાકીય પરીક્ષા માટે આગામી કાર્યક્રમ નિયત થયે મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.


અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય


બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાની ગંભીર અસરને જોતા અમદાવાદમા શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાનીની શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની અસરને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદવાદનાં DEO એ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરી છે.