Ambaji Temple Bhandara Theft: ભગવાનના દરબારમાં પણ હવે શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલી દાનની રકમ સુરક્ષિત રહી નથી. તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીની ઘટના હજુ તાજી જ છે, ત્યાં હવે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાંથી પણ 1.04 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વહીવટીતંત્રમાં અને માઈભક્તોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Continues below advertisement

પગ નીચે સંતાડીને પેન્ટમાં છુપાવ્યા નોટોના બંડલ

પ્રાપ્ત વિગતો અનુસાર, અંબાજી મંદિરમાં આઉટસોર્સિંગથી કામ કરતા ચિરાગ ઠાકોર નામનો કર્મચારી આ ચોરીમાં સીધી રીતે સંડોવાયેલો છે. સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચિરાગ ખૂબ જ ચાલાકીથી રૂપિયાની નોટોનું બંડલ પહેલા પોતાના પગ નીચે સંતાડે છે. ત્યારબાદ આસપાસ કોઈની નજર નથી તેની ખાતરી કરીને તે બંડલ પોતાના લેંઘા (પેન્ટ) માં છુપાવી દે છે. આ મામલે શરૂઆતમાં પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હાલ તે જામીન પર મુક્ત થઈ ગયો છે.

Continues below advertisement

એપ્રિલ અને મે એમ સતત બે મહિના સુધી થયો હાથફેરો

આ ચોરી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ લાંબા સમયથી ચાલી આવતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અગાઉ 7 મે 2026ના રોજ ભંડારામાં ચોરી થઈ ત્યારે એવો દાવો કરાયો હતો કે CCTV કેમેરા બંધ હતા. જોકે, હવે એક મહિના અગાઉના એટલે કે 21 એપ્રિલ 2026ના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પણ આ જ શખ્સ બિન્દાસ્તપણે ચોરી કરતો નજરે પડે છે. આ પરથી સાબિત થાય છે કે એપ્રિલ અને મે મહિનામાં સતત મંદિરના ભંડારામાં હાથફેરો કરવામાં આવ્યો હતો.

ભક્તોમાં ભારે રોષ: ઊંડી તપાસની માંગ

લાખો રૂપિયાની ચોરી કરનાર મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર હાલ જામીન પર ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાથી માઈભક્તોની લાગણી દુભાઈ છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોની ઉગ્ર માંગ છે કે ભગવાનના ધનમાં કટકી કરનારા આવા શખ્સને કડકમાં કડક સજા થવી જોઈએ. આ ઉપરાંત, એક મોટી આશંકા એ પણ સેવાઈ રહી છે કે જો પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા છેલ્લા એક વર્ષના તમામ CCTV કેમેરાના રેકોર્ડિંગની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, તો લાખો રૂપિયાની ચોરીના ખૂબ મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ શકે છે.