Ambaji Yatra Dham master plan: અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અંબાજી માતા મંદિર કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આગળ ધપાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે અંબાજીને મોડેલ ટેમ્પલ ટાઉન બનાવવા માટે આશરે ₹1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ 50 વર્ષીય વિઝન આધારિત પ્લાન બે તબક્કામાં અમલમાં મુકાશે. મુખ્ય આકર્ષણોમાં અંબાજી મંદિરથી ગબ્બર સુધીનો 'શક્તિ કૉરિડોર', ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ, મેળા અને ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, યાત્રી નિવાસ, વિવિધ સરોવરોનું સૌંદર્યીકરણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકેનો પુનર્વિકાસનો સમાવેશ થાય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર યોજનાનું સંચાલન કરી રહ્યું છે.
'વિકાસ ભી, વિરાસત ભી' નો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમણે અંબાજીના વિકાસ માટે અનેક પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેમણે 'વિકાસ ભી, વિરાસત ભી'નો મંત્ર આપીને સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોના અભૂતપૂર્વ વિકાસ અભિયાનને વેગ આપ્યો છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિના કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યા છે.
આગામી 50 વર્ષનું વિઝન અને બે તબક્કામાં અમલીકરણ
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા અંબાજી માતા મંદિર પરિસર માટે આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના બે તબક્કામાં લાગુ પડશે, અને પહેલા તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.
શક્તિ કોરિડોર અને આધ્યાત્મિક એકીકરણ
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. આ યોજનાના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે, જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે, અને અંબાજી માતાનું મંદિર, જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે. અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોર નું નિર્માણ કરવામાં આવશે.
માસ્ટર પ્લાન હેઠળની મુખ્ય સુવિધાઓ અને વિકાસ કાર્યો
અંબાજી યાત્રાધામ પરિસરને વધુ ઉન્નત બનાવવા માટે આ માસ્ટર પ્લાન હેઠળ પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપવામાં આવી છે. તે હાલની સુવિધાઓને પુનર્વિકસિત કરશે અને યાત્રાળુઓના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે 'જ્યોત' અને અંબાજી મંદિર ખાતે 'વિશા યંત્ર' જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરીને યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવવામાં આવશે.
બે તબક્કામાં ₹1632 કરોડનો ખર્ચ
અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1632 કરોડ છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં અમલમાં મૂકાશે:
- પ્રથમ તબક્કો (અંદાજે ₹950 કરોડ): આ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોર નું નિર્માણ મુખ્ય આકર્ષણ રહેશે. આ શક્તિ કોરિડોર ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું એક વ્યાપક નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે. આ ઉપરાંત, દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે.
- બીજો તબક્કો (અંદાજે ₹682 કરોડ): આ તબક્કામાં ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.
ચાચર ચોકનું વિસ્તરણ અને નવા આકર્ષણો
માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે. ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સુવ્યવસ્થિત કરવાના કાર્યો કરાશે.