અમદાવાદ :  અરબી સમુદ્રમાં ઉદભેવલું વાવાઝોડું શક્તિ હાલ તો ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.  જોકે આજે વાવાઝોડું શક્તિ 130 ડિગ્રીએ યુ-ટર્ન મારશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે વાવાઝોડુ શક્તિ યુ-ટર્ન લેતાની સાથે જ સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અસર વર્તાવવાનું શરૂ થશે. 

Continues below advertisement

9 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર

જોકે વાવાઝોડું ગુજરાતના કાંઠા સુધી પહોંચે તે પહેલા તો નબળું પડી જશે. ગુજરાત નજીક પહોંચતા 40 કિમી પ્રતિ કલાકની ઝડપે કાંઠા વિસ્તારના ગામોમાં પવન ફૂંકાશે. અંબાલાલ પટેલના મતે 9 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસશે. જોકે આમ તો નવેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદી માવઠા વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. 

Continues below advertisement

શક્તિ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોવા મળશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદ  વરસી શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ લાવશે.  અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતનો ઉત્પાત બમણો થયો છે.  છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે 22થી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશનની એક્ટિવિટી  જોવા મળી હતી. 

ચક્રવાતી વાવાઝોડું "શક્તિ" ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં સક્રિય થયું, જે 2025 નું પ્રથમ વાવાઝોડું હતું. 3 ઓક્ટોબરે સક્રિય થયા પછી, 4 ઓક્ટોબરે ચક્રવાતની ગતિ વધી ગઈ અને ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું સોમવાર, 6 ઓક્ટોબરના રોજ  નબળું પડવાની ધારણા છે. જો કે, તેની અસરો 7 ઓક્ટોબર સુધી અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગની 8 ઓક્ટોબર સુધી ચેતવણી જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ (ચેન્નાઈ) અને ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી, બિહાર અને હિમાચલ પ્રદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની વિપરીત અસરથી તમિલનાડુમાં  પણ ભારે વરસાદ વરસ્યો. 23 શહેરમાં હજુ પણ ગુરૂવાર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે.  ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને  વ્યાપક અસર થઇ છે.