હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઇને આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે 25થી 30 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.


અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 25 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીના સ્તર ઉંચા આવશે. 5 થી 8 જૂલાઈ દરમિયાન દેશ અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. એટલું જ નહી જૂલાઇમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.  


અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, જૂલાઇમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. જૂનના અંતમાં અથવા જૂલાઇમાં મુંબઇમાં વરસાદની શરૂ થશે. અંબાલાલે કહ્યું હતું કે ચોમાસુ કર્ણાટકમાં ગૂંચવાયું છે પરંતુ જૂલાઇમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડશે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની પણ આગાહી કરવામાં આવી છે.



બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી


બનાસકાંઠામાં વાવાઝોડા બાદ વરસેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. સરહીય વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવના ટડાવથી ચોટીલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. સાથે જ 20થી વધારે એકરની જમીનમાં પણ પાણી ભરાયા હતા. જો કે હાલ તો વરસાદ વરસી રહ્યો નથી પરંતુ વરસાદના પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




થરાદ પંથકમાં પણ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. ભડોદર નજીક રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રોડની સાઈડમાં આવેલ ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ આજ પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી પરંતુ પાણીનો નિકાલ થયો નથી.


વાવાઝોડાથી કચ્છમાં હજારો કરોડોનું નુકસાન


વાવાઝોડાના કારણે કચ્છમાં નુક્સાની થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 748 ટીમોએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે. તો આ તરફ ૪૩ હજાર ૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમની ચૂકવણી કરવામાં આવી છે. કાચા અને પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ૨૯ ટીમોએ આંશિક નુકસાન પામેલા ૧૨૦ બોટોનો સર્વે કર્યો છે. કાચા પાકા મકાનોમાં ૧૫ ટકાથી વધુ નુકશાન હશે તો તેને સહાય આપવામાં આવશે