અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. અંબાલાલના જણાવ્યા અનુસાર, 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 


મધ્ય ગુજરાતના અમદાવાદ,  ગાંધીનગર,  વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાંત  અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદને લઈ આ આગાહી કરી છે. 


હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી 


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.




આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.





 


અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની શક્યતાને જોતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.


હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ જોઈએ તેેવો વરસાદ વરસ્યો નથી.  હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો છે.  નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ પડ્યો છે.