Ambalal Patel weather forecast: રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી અને મહત્વની આગાહી કરી છે. પશ્ચિમ ઘાટમાં સક્રિય થયેલા વરસાદ અને લો-પ્રેશર સિસ્ટમના કારણે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ મેઘમહેર યથાવત રહેશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Continues below advertisement

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Continues below advertisement

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા પોતાની કૃપા વરસાવશે. પાટણ, સમી, હારીજ, પાટડી અને દસાડામાં સારો વરસાદ થઈ શકે છે. મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, મહીસાગર અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ગોધરા અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. મેટ્રો સિટી અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

નર્મદાના જળસ્તરમાં થશે વધારો, કચ્છમાં હળવો વરસાદ

સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ શકે છે. આ સાથે જ, ઉપરવાસમાં સારા વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. બીજી બાજુ, કચ્છના કેટલાક ભાગોમાં વાતાવરણ હળવું રહેશે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 જુલાઈ બાદ નવી સિસ્ટમ સક્રિય, ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, 8 જુલાઈ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેનાથી વરસાદનું જોર ફરી વધશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે ખેતરમાં 'વરાપ' (વરસાદ પછી જમીન થોડી સુકાય તે સ્થિતિ) આવ્યા પછી જ વાવણીનું કામ શરૂ કરવું. ઉતાવળ કરવાથી બિયારણ નિષ્ફળ જઈ શકે છે. તેમણે ખેડૂતોને એવી ચેતવણી પણ આપી છે કે ઓગસ્ટ મહિનામાં પડનારા ભારે વરસાદના કારણે પાકને નુકસાન પહોંચી શકે છે, તેથી અત્યારથી જ યોગ્ય આયોજન કરવું હિતાવહ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર