ગાંધીનગર: રાજ્યમાં પેટા ચૂંટણીની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. કૉંગ્રેસે તમામ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં પેટા ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું જીત મેળવેલા ધારાસભ્યોને શુભેચ્છા આપીએ છીએ. કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી, લોકશાહી બચાવવા લડતા રહીશું.


ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. કૉંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યસભાની એક બેઠક માટે ભાજપે ચૂંટણી થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. 8 વિધાનસભા વિસ્તારના લોકો સાથે દ્રોહ થયો છે. લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું.

અમિત ચાવડાએ કહ્યું કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નહીં, પક્ષપલટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને સંવિધાન બચાવવા લડત લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરૂ છું. મતદારોએ જે કઈ મદદ કરી તે માટે આભાર માનુ છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ નથી કરતી. કોંગ્રેસ સિદ્ધાંતો માટે જ કામ કરે છે. જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએ.

પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત છે. મહત્વનું છે કે 8 બેઠકો પર કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેને લઇને પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 5 ઉમેદવારોને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે.