અમરેલી જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થયા છે. સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે. આજે બપોર પછી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી.


રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2 ફરી છલકાયો હતો. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

સાવરકુંડલાના અનેક ગામોમાં વરસાદ પડતાં કપાસના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. પંથકના ચરખડિયા, નાના ભમોદ્રા, સીમરણ(જીરા), ખડકાળા સહિત ઘણા ગામોમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું.



બાબરા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. બાબરાના પાનસડા,થોરખાણ, ગરણી, ઘૂઘરાળા સહિતના અનેત ગામોમાં વરસાદને પગલે ખેડૂતોના પાકોને નુક્શાનની ભીતિ છે. ખેડૂતોનો મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ થોડી ઘણી આશા કપાસના પાક પર હતી. પરંતુ વરસાદથી તે પણ નિષ્ફળ જઈ શકે છે.

અમરેલી તાલુકાના ફતેપુરા, બાબાપુર,પાણિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ધારીના ગોપાલગ્રામ, હાલરીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખાંભા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી હતા. ખાંભાના નાનુડી, રાણીંગપરા, સરાકડિયા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.