અમદાવાદ : ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે . આર . કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે . જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજદાર તરફે કરવામાં આવેલી RTI ના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેમની પાસે VVPAT મશીન નથી. VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યમાં યોજવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનો ચૂંટણી પંચ જાહેરાત કરે.


અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે. અરજદારે PIL માં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો છે.

19 મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશના લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.