ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક કરાઈ છે. વૈભવી નાણાવટી, નિર્ઝર દેસાઈ અને નિખિલ કારિયલની હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક કરાઈ છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાત હાઈકોટના જજ તરીકે નિમવા માટે આ ત્રણ નામ પર મંજૂરી મહોર મારી તે પછી કેન્દ્ર સરકારના કાયદા વિભાગે પણ તેના પર અંતિમ મહોર મારી છે.


કેન્દ્રની મંજૂરી બાજદ હાઈકોર્ટના વકીલ વૈભવી નાણાવટી, કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ નિર્ઝર દેસાઈ અને નિખિલ કારિયલની હાઈકોર્ટના જજ તરીકેની નિમણૂંક કરાઈ છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આગામી ત્રણ દિવસોમાં નવા નિમાયેલા આ ત્રણેય જજને શપથ લેવડાવવામાં આવે તેવી સંભાવના છે.

વૈભવી નાણાવટી છેલ્લા બે દાયકાથી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. નિર્ઝર દેસાઈએ કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ છે અને વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. નિખિલ કારિયલ પણ હાઈકોર્ટમાં છેલ્લા બે દાયકા જેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે. હાઈકોર્ટમાં મંજૂર થયેલા 52 જસ્ટિસના મહેકમ સામે 28 જસ્ટિસ કાર્યરત છે. હવે આ નવા ૩ જસ્ટિસનો ટૂંક સમયમાં ઉમેરો થશે. આ વર્ષની શરૂઆતમાં હાઈકોર્ટમાં નવા ચાર જસ્ટિસની નિમણૂંક થઈ હતી.