ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજ્યનો અરવલ્લી જિલ્લો કોરોના મુક્ત થવાની તૈયારીમાં છે. આજે જિલ્લામાં 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


અરવલ્લી જિલ્લામાં આજે વાત્ર કોવિડ હોસ્પિટલમાંથી 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કુલ 43 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે જે 21 દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં મોડાસાના 15 અને મેઘરજના 4 દર્દીઓનો સમાવેશ થાય છે. અરવલ્લી માટે સારા સમાચાર એ છે કે, જિલ્લામાં કુલ 79 કોરોના કેસ હતા જેમાંથી હવે માત્ર 14 કેસ જ એક્ટિવ છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1361 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 2 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં હાલમાં કુલ 3096 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9592 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 124709 ટેસ્ટ થયા જેમાંથી 9592 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.