અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું છે. મોડાસાની કૉવિડ હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું છે. બાયડ પંથકની 42 વર્ષિય મહિલાનું મોત થયું છે. રેપિડ ટેસ્ટ પોઝીટિવ આવતા દાખલ કરાયા હતા. સુરત ખાતે મરણ પ્રસંગે જઇ પરત ફરતા કોરોના લાગ્યો હતો. કોવિડ ગાઇડ લાઇનથી આરોગ્ય વિભાગે અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરી છે. 


બાયડના પાતેંરામાં  છેલ્લા પાંચ દિવસથી મહિલા બીમાર થઈ હતી. મહિલાને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જિલ્લામાં કોરોનાના પુનઃ પ્રવેશથી લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. આગામી દિવસોમાં વધુ કેસ જિલ્લામાં નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. નોંધનીય છે કે, અત્યાર ગુજરાતમાં માત્ર ચાર જિલ્લા એવા રહ્યા છે, જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી. આ જિલ્લાની વાત કરીએ તો પાટણ, બોટાદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જોકે, મહિલાનું મોત થતાં અત્યારે અરવલ્લી જિલ્લામાં પણ એકેય એક્ટિવ કેસ રહ્યો નથી. 


અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ 5 જ દિવસમાં નોંધાયા 430 કેસ, એક્ટિવ કેસો પહોંચ્યા 500ને પાર


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 563 થઈ ગયા છે. જ્યારે આખા ગુજરાતમાં 1420 એક્ટિવ કેસો છે. એટલે કે અડધો અડધ એક્ટિવ કેસો તો માત્ર અમદાવાદ જિલ્લાના જ છે. 


અમદાવાદ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 430 કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલે 182, 27મીએ 100, 26મીએ 53, 25મીએ 63 અને 24મીએ 32 નવા કેસ નોંધાયા હતા. જેની સામે છેલ્લા 5 દિવસમાં 64 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 


અમદાવાદ શહેરમાં વધુ ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ત્રણ વિદ્યાર્થીઓ માધ્યમિકના સ્કૂલના છે. બે વિદ્યાર્થી આંબાવાડીની એક સ્કૂલના છે અને એક વિદ્યાર્થી નારણપુરાની એક સ્કૂલનો છે. આ બંને સ્કૂલો ખાનગી છે અને આ સ્કૂલો દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા હોવાની જાણ કરવામા આવી હતી.આ ત્રણેય વિદ્યાર્થી માધ્યમિકના ધોરણના છે. બંને સ્કૂલોને દસ દિવસ માટે ઓફલાઈન શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ કરવાનો અને સેનેટાઈઝેશન કરવાનો આદેશ કરાયો છે.