શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે સુનોખમાંથી જૈન સાધ્વીજી ગુમ થવાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ૧૫ કલાક બાદ મળી આવેલ સાધ્વીનું પોલીસને નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદન આપ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે કેટલાક ઈસમોએ પીછો કર્યો હતો. સાધ્વીજી કીર્તિકા જીવ બચાવવા છુપાઈ ગયા હતા. 


પોલીસે જૈન સાધ્વીજીના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરશે. સાધ્વીજી કીર્તિકા મહારાજજી ગડાદરકંપામાંથી મળ્યા હતા. નોંધનીય છે કે, શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગુરુવારના સવારે ૪:૧૫ વાગ્યાથી સાધ્વીજી ગુમ થયાની ફરિયાદ નોંધાવાઇ હતી. 

સાધ્વીજી મહારાજજી કાર્તિકા મહારાજજી ધનાશ્રી રાવત, (ઉં.વ. 38, રહે. બારે ગાવપટ્ટી ભરતપુર જિ. ટિહરી ઉત્તરાખંડ) હિંમતનગરથી વિહાર કરીને સુનોખ આશ્રમમાં રોકાણ કર્યું હતું. તેમજ વહેલી સવારે 4.15 કલાકે કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન લાંબો સમય વિતવા છતાં સાધ્વીજી પરત ન ફરતાં પડોશીઓ તેમજ ગ્રામજનો સાધ્વીજીની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેમનો ક્યાંય પત્તો ન લાગતાં દિનેશભાઈ લાદુલાલ શાહ જૈન (રહે. મારુતિ નગર નવરાત્રી ચોક હિંમતનગર)એ શામળાજી પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.


બે દિવસ અગાઉ મહારાજને લુખ્ખા તત્વોએ લોહીલુહાણ કર્યા હતા. હિંમતનગર- શામળાજી હાઈવેથી ઉદેપુર તરફ પગપાળા જતાં મહારાજે અણસોલ પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન અસામાજિક તત્વોએ મહારાજને લોહીલુહાણ કરી નાખતાં મહારાજને રાજસ્થાન તરફ વિહાર કરવાનો હોવાથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.