Banaskantha, Mid Day Meal: ગુજરાતમાં ફરી એકવાર મધ્યાહન ભોજનનું ખાવાનું ખરાબ હોવાનું ભૂત ધૂણ્યુ છે. આજે બનાસકાંઠામાંથી મળી રહેલા સમાચારમાં મધ્યાહન ભોજનમાં ખાવાનાનો જથ્થો એકદમ હલકી કક્ષાનો આવતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો છે. આ ઘટના બનાસકાંઠાના ધાનેરાના મામાજી ગોળીયા ગામની પ્રાથમિક શાળામાં ઘટી છે. 




મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર મધ્યાહન ભોજનના ખાવાનાને લઇને વિવાદ શરૂ થયો છે. હાલમાં જ જિલ્લાની ધાનેરાની મામાજી ગોળીયા પ્રાથમિક શાળામાં બાળકોને ખરાબ મધ્યાહન ભોજનનું ખાવાનું અપાઇ હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ના શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા, આ પછી બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા અને રોષે ભરાઇને લાલઘૂમ થયા હતા. શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો હતો. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો કરી રહ્યાં છે. માધ્યહન ભોજનમાં ખરાબ જથ્થાના લઇને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત કરી છે. 




 


પાલનપુરમાં બે વર્ષની બાળકીની હત્યા, એસપી કચેરી બહાર મહિલાઓએ કર્યો સૂત્રોચ્ચાર


બનાસકાંઠાના પાલનપુરના તારાનગરમાં બે વર્ષની બાળકીની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બાળકીની હત્યાને પગલે સ્થાનિકો અને મહિલાઓએ રેલી યોજી હતી અને કડક તપાસની માંગ કરી હતી. મહિલાઓએ SP કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી.




 


પાલનપુરના તારાનગર બાવરી ડેરા વિસ્તારમાં ગત રાત્રે બે વર્ષની બાળકીની હત્યા થઈ હતી.  જોકે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલ્યો છે પરંતુ તારા નગરના વિસ્તારના લોકોને હવે પોતાની બાળકોની  ચિંતા સતાવી રહી છે. બાળકીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મહિલાઓએ મહિલાઓએ એસપી કચેરીએ મોરચો માંડયો હતો.


નોંધનીય છે કે તારાનગર વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકી ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ ગુમ થઈ હતી અને આઠ વાગે બાળકીના ઘરની નજીક તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ મળતાની સાથે જ લોકોએ પોલીસને જાણ કરી હતી પરિવારને આશંકા છે કે કોઈ બે વ્યક્તિઓએ આ બાળકીની હત્યા કરી છે અને બાળકી સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાની પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પરિવારની માંગ છે કે આરોપીઓને જલદીથી પકડવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે.


પોલીસે પેનલ પીએમ અર્થે બાળકીના મૃતદેહને અમદાવાદ મોકલ્યો હતો. જો કે આજે અમદાવાદથી રિપોર્ટ આવી ગયા બાદ બાળકીની હત્યા થઈ છે તે સાબિત થયું છે. પોલીસે એલસીબી એસઓજી અને પોલીસની પાંચ ટીમ હત્યારાને શોધવા માટે કામે લગાડી હતી. જ્યારે પોલીસે સાત શંકાસ્પદોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી.