કોરોના વાયરસ છે કે નહીં તે જાણવા HRCT ટેસ્ટ કરાવતા હોય તો થઈ જાવ સાવધાન, આ ટેસ્ટ વાસ્તવમાં કોરોનાનો.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Dec 2020 09:09 AM (IST)
રેડિયો ડાયોગ્નોસીસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે.
હાઇરિઝોલ્યુશન કમ્પ્યૂટર ટોમોગ્રાફી (HRCT) ને કોરોનાનો ટેસ્ટ માનતા લોકોએ ચેતવાની જરૂર છે. સિવિલના રેડિયોલોજી વિભાગના ડો. પંકજ અમીન જણાવે છે કે, એચઆરસીટીમાં વ્યક્તિની છાતીએ 1 હજાર એક્સ-રે જેટલું રેડિએશન ઝીલવું પડે છે માટે ડોક્ટરની સલાહ વગર આ ટેસ્ટ કરાવવો જોઈએ નહીં. કારણ કે HRCT સ્કેન વાસ્તવમાં કોરોનાનો ટેસ્ટ જ નથી. રેડિયો ડાયોગ્નોસીસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે. આ ટેસ્ટ કરાવવો જોઈએ પરંતું આ ટેસ્ટ માટેનો ચોક્કસ તબક્કા હોય છે. કોરોનાની શરૂઆતમાં જ આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી. આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે. કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ થતો નથી. જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શરૂઆતના તબક્કે એચઆરસીટી કરવામાં આવે તો પણ રિપોર્ટ સામાન્ય આવવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે પ્રાથમિક તબક્કે આ ટેસ્ટ સલાહભર્યો નથી. કોરોના વાઈરસથી ફેફસાંનો કેટલો ભાગ સંક્રમિત છે અને કેટલું નુકસાન થયું છે તે HRCT કોરેડ સ્કોરથી જાણી શકાય છે. ફેફસાંના કયા ભાગમાં વાઈરસની કેટલી અસર છે તેને આધારે 25 કે 40માંથી સ્કોર અપાય છે. જો 25ના સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી, 8થી 15 વચ્ચે મધ્યમ અને 15થી વધુ હોય તો ગંભીર અસર બતાવે છે.