ગાંધીનગર: કૃષિ કાયદાની વિરૂદ્ધણાં આજના ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખોટા આંદોલન કરી વિપક્ષ ખેડૂતો અને નાગરિકોને ભડકાવવાનું કામ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીને નથી સમજાતો મેથી અને કોથમીરનો ભેદ. ભૂતકાળમાં કોંગ્રેસે આ કાયદો લાવવા વિચાર્યુ હતું.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત બંધના એલાનને કોંગ્રેસ અને રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો મોદી સરકાર વિરૂદ્ધ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા આ આંદોલનમાં ખેડૂતોના નામે કૂદી પડી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ દર વખતે પોતાના વલણ અને રંગ બદલતી રહે છે જે કોંગ્રેસે ર019માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહેલું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો APMC એકટ નાબૂદ કરશે. અને તમામ બંધનો હટાવી લેશે. આજે જ્યારે મોદી સરકારે ખેડૂતોના હિતમાં આ પગલું લીધું ત્યારે એ જ કોંગ્રેસ ખેડૂતોના નામે મોદી સરકાર વિરૂદ્ધ આંદોલન કરવા નીકળી પડી છે, એ જ બતાવે છે કે તેમના હૈયે ખેડૂતોનું હિત નહિ પોતાનો રાજકીય એજન્ડા જ રહેલો છે.