ભરુચઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવાની માંગણી કરી છે. આની સાથે સાથે ગુજરાતમાં ગરીબ આદિવાસી છોકરીઓને વેચવામાં આવે છે, તેના માટે પણ કડક કાયદો બનાવવો જોઇએ, તેમ પત્રમાં જણાવ્યું છે.


મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ, જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓની ગરીબાઈનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે, તેવા વિસ્તારોમાં વેચવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એક મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે.

આ બાબતે પણ આ કાયદામાં ગરીબ આદિવાસી છોકરીઓને પ્રલોભન આપીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે. તેના પર પણ રોક લગાવવી જોઇએ. તેથી આ બાબતે આ કાયદમાં જોગવાઇ કરવી જોઇએ, તેમ મનસુખ વસાવા દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, હિન્દૂ યુવતીઓને મુસ્લિમ યુવકો લાલચો આપીને ફસાવે છે અને પછી લગ્ન પણ કરે છે. મુસ્લિમો પહેલેથી જ બે-ત્રણ પત્ની ધરાવતા હોવા છતાં હિંદુ યુવતીઓને તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવે છે. આ લવજેહાદનું કૃત્ય કરવા માટે મુસ્લિમ યુવાનોને તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ લવ જેહાદ બાબતે ઘણા બધા સંગઠનો તથા હિંદુ સમાજના આગેવાનોએ મારી સમક્ષ રજૂઆત કરી છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, જેમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો છે, આ કાયદા હેઠળ એક વર્ષથી લઈને પાંચ વર્ષની જેલની સજા અને રૂપિયા 15 હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનેલી મહિલી સગીર વયની હોય અથવા તો તે અનસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની યુવતી હોય તો તે આરોપીને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષની જેલની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ કરવામાં આવશે. આ રીતે ઉત્તરપ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો, તેવો કાયદો ગુજરાતમાં પણ બનવો જોઇએ.