ગાંધીનગર: રાજય સરકારે ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ત્રણ માસ દરમિયાન વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી. હાલ પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2 રૂપિયા છે. જે હવે 1 રૂપિયો અને 81 પૈસા રહેશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયના 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને ત્રણ મહિના દરમિયાન 356 કરોડનો લાભ થશે.


ઊર્જા મંત્રીએ કહ્યું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020 ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.૦૦ પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-2020 થી ડિસેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81 ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે.

આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે, અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે તેમ તેમણે ઉમેર્યું છે.