ગાંધીનગરઃ દેશમાં કોરોનાને કેર વચ્ચે વિદ્યાર્થીઓનુ ભણતર અટવાયુ છે. દેશમાં કેટલાય રાજ્યોમાં બોર્ડ એક્ઝામને માસ પ્રમૉશન આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે રેગ્યૂલર રહેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન આપવાનો ગુજરાત સરકારે ફેંસલો કર્યો છે. પરંતુ હવે વાત ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ પર આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી આ અંગે ચર્ચાઓ થઇ રહી છે. હવે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને લઇને એક મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું હતુ કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન નહીં અપાય. હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડને આધિન ધોરણ- 12ની પરીક્ષાઓ યોજવી કે નહીં કે પછી તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10ની માફક માસ પ્રમૉશન આપવુ? આ અંગેની ચર્ચા માટે એક બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા નહીં આવે, અને જ્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવશે તે સમયે પરીક્ષા લેવાશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમૉશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અગાઉ ધોરણ-10માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ ધોરણ-12 સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ હાલના તબક્કે HSC સિવાય બીજો કોઈ નિર્ણય કર્યો નથી. તેમ કહીને HSC માટે અગાઉ નક્કી કર્યા મુજબ પરીક્ષા યોજવાનો નિર્ણય યથાવત હોવાની વાત કહી હતી. ખાસ વાત છે કે, આ ચાલુ વર્ષે ગુજરાતમાં ધોરણ- 10માં 8.53 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ વિદ્યાર્થીઓને ગત વર્ષે ધોરણ-9માં પણ માસ પ્રમોશન મળ્યુ હતુ. 


નોંધનીય છે કે, રાજ્યમાં પહેલાથી જ ધોરણ-1થી 9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવામાં આવી ચૂક્યુ છે. CM હાઉસમા મળેલી કોરગ્રુપની બેઠકમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત આરોગ્ય, શિક્ષણ વિભાગના સેક્રેટરીઓ પણ હાજર રહીને શિક્ષણ અંગેના મહત્વના નિર્ણયો લીધા હતા