નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશભરમાં રાજ્યસભાની 55 બેઠક પર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ 55 બેઠકોમાં ગુજરાતની પણ ચાર બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ભાજપના ચુનીભાઈ ગોહિલ, લાલસિંહ વદોડીયા અને શંભુપ્રસાદ ટુંડિયા તથા કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીની છ વર્ષની મુદ્દત પૂરી થતાં ચૂંટણી યોજાવાની છે.


ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતની ચાર બેઠકો પર 26 માર્ચના રોજ મતદાન થશે. 26 માર્ચે સવારે 9 કલાકથી મતદાન શરૂ થશે અને એ દિવસે એટલે કે 26 માર્ચે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી માટે તમામ એટલે કે 180 ધારાસભ્યો મતદાન કરશે.



ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે જ્યારે ફોર્મ પાછું ખેચવાની તારીખ 18 માર્ચ છે. એ પછી 26 માર્ચે રાજ્યસભાની ચુંટણી યોજાશે. આણ એક મહિના પછી રાજ્યસભાની 55 બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો એપ્રિલમાં નિવૃત્ત થનારા રાજ્યસભાના સભ્યોના કારણે ખાલી પડશે.