ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલને મોટી જવાબદારી સોંપાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિન પટેલને ભાજપ મોટી જવાબદારી આપે તેવી સંભાવના છે. ભાજપ નીતિન પટેલને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું.


ઉપરાંત નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે અગાઉ મહેસાણામાં સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ અંગેના સંકેત આપ્યા હતા. ભૂપેન્દ્ર ચૌધરી અને નીતિન પટેલ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. યુપી ભાજપ કોર ગ્રુપે ગુજરાતી નેતાને પ્રભારી બનાવવા માંગ કરી છે.


રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપે તમામ 156 ધારાસભ્યોને આપ્યા આવા આદેશો


આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં ભાજપ એલર્ટ મૉડમાં આવી ગયુ છે, રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપના ધારાસભ્યોને ગુજરાત ના છોડવા સૂચના આપી દેવાઇ છે. આગામી 26મી જુલાઇ સુધી રાજ્યના તમામ 156 ધારાસભ્યોએ ગુજરાતમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.


રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઔ આરંભી દીધી છે. તમામ 156 ધારાસભ્યોને 26મી જુલાઇ સુધી ગુજરાતમાં રહેવા પક્ષ તરફથી આદેશ અપાયો છે. અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય એવા ધારાસભ્યોએ પક્ષમાં જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 24મી જુલાઈએ રોજ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠક માટે છે રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. આગામી 7મી તારીખે મુખ્યમંત્રી, ભાજપ ગુજરાત અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી દિલ્હી જશે. 9મી તારીખે ગુજરાત ભાજપના પાર્લિયામેન્ટ્રી બૉર્ડની બેઠક મળશે. પાર્લિયામેન્ટ્રી બૉર્ડની બેઠકમાં ગુજરાત ભાજપ રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરશે. નક્કી થયેલા નામો અંગે દિલ્હી ભાજપની રાષ્ટ્રીય પાર્લિયામેન્ટ્રી બૉર્ડમાં ચર્ચા થશે. આ વખતે ભાજપ તમામ ત્રણેય બેઠકો પર દમદાર ઉમેદવાર ઉતરી શકે છે. 


બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી


રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ  અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે