અમરેલી: બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે.


 






આ વખતે ડોક્ટર ભરત કાનાબારે ડોક્ટરો સામે મોરચો ખોલ્યો છે. તેમણે ટ્વીટ કરીને લેબોરેટરી અને મેડિકલના બિલમાં કમિશન રાખતા ડોક્ટરો સામે સવાલ ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભરત કાનાબાર પોતે પણ ડોક્ટર છે. તેથી આ વ્યવસાયમાં ચાલતી કમિશનખોરી વિશે સારી રીતે જાણે છે. ભરત કાનાબારના આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. તેમના ટ્વીટ પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં ઘણો લોકોએ તેમનું સમર્થન પણ કર્યું છે. લોકો કહી રહ્યા છે કે, ડોક્ટરોના વ્યવસાયમાં ચાલતી આ લૂંટ બંધ થવી જોઈએ. 


ડોક્ટર ભરત કાનાબારનું ટ્વીટ અક્ષરસ:


ટૂંકો પગાર મેળવતો હોટેલનો વેઈટર ટીપની અપેક્ષા રાખે કે ટૂંકી આવક ધરાવતો પટાવાળો બક્ષિશની આશા રાખે તો તેને માફ કરી શકાય પણ સુખ સાહેબી ભોગવતા કેટલાક ડોક્ટરોને દર્દીના લેબોરેટરી ચાર્જમાં કમિશન રાખતા કે દર્દીઓને કમિશન વાળી દવાઓ લખી આપતા કે દર્દીને બીજા ડોક્ટરોને રીફર કરવામાં કમિશન લેતા જોઉં છું ત્યારે આ વ્યવસાયના એક સદસ્ય તરીકે મને મારી જાત પર શરમ આવે છે !


ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે!


આ પહેલા પણ ડોક્ટર ભરત કાનાબારે શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બીજેપીના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી ફરી નારાજગી વ્યક્ત કરી છે. આ વખતે તેમણે કર્મચારીઓના પગારને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !! 


આ દરમિયાન ડોક્ટર ભરત કાનાબારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમરેલીના કલેક્ટરને ટેગ કર્યા હતા. જોકે,આ પહેલીવાર નથી જ્યારે બીજેપી નેતા ભરત કાનાબારે સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો હોય. આ પહેલા પણ ભરત કાનાબાર પોતાની જ સરકારે સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે.