Local Body Election: 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. 68માંથી ભાજપ 40 નગરપાલિકા પર આગળ ચાલી રહી છે. જો કે ત્રણ એવી નગર પાલિકા છે. જ્યાં કમળ નહિ ખીલે, સલાયા નગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા 13 બેઠક પર વિજય મેળવ્યો છે તો બીજી તરફ કુતિયાણામાં પણ ભાજપના હાથમાંથી સત્તા સરકી ગઇ છે. રાણાવાવમાં પણ ભગવો લહેવાની શક્યતા ખતમ થઇ ગઇ છે. કારણ કે અહીં રાણાવાવની 24માંથી 16 બેઠક પર સમાજવાદી પાર્ટીએ કબ્જો જમાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં જ ભાજપમા સૂપડા સાફ થયા છે. સલાયા નગરપાલિકા અને તાલુકા પંચાયચતની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થયા છે. સલાયામાં ખાતું ખુલે તેવી શક્યતા નહીંવત છે. 28 બેઠકવાળી સલાયામાં 13 પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. તો 15 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું નથી ખુલ્યું. નોંધનિય છે કે, સલાયામાં ભાજપે માત્ર 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સલાયામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
કુતિયાણા નગરપાલિકાની વાત કરીએ તો કુતિયાણા નગરપાલિકામાં ટાઈ પડી છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબ્જો કર્યો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. રાણાવાવની 24માંથી 16 બેઠક પર સમાજવાદી પાર્ટીનો કબ્જો છે.કુતિયાણા અને રાણાવાવમાં બંનેમાં કાંધલ જાડેજાનો દબદબો જોવા મળી રહ્યો છે.
ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે. આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.