વેરાવળઃ ભાલકા તીર્થની ભૂમિ પરથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકાયું છે. આહીર સમાજ દ્વારા આયોજીત સન્માન સમારોહ ચૂંટણીસભામાં પલટાયો હતો. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર, ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર સહિત મહાનુભાવોનું અદકેરું સન્માન કરાયું હતું.


આ પ્રસંગે જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ તરફે મતદાન માટે આહવાન કરાયું હતું. 2017 વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો પર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી એકરાર કર્યો હતો.

નવા સંગઠનમાં આહીર સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપી ભાજપે ભૂલ સુધારી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લા આહીર સમાજ દ્વારા ભાજપમાં નવનિયુક્ત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો સન્માન સમારોહ રખાયો હતો. આહીર સમાજના સૂચક સન્માન સમારોહથી કોંગ્રેસમાં સન્નાટો છે. જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.