સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ધનજીભાઈ ગમારા હોવાનું બહાર આવ્યું છે. 




આ અંગે સામે આવેલી વિગતો અનુસાર થોડા દિવસો પહેલા ઘરેથી ચાલ્યા ગયા બાદ આજે કેનાલમાંથી તેમની લાશ મળી આવી છે. અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓ છે. જો કે, તેઓ ઘરેથી શા માટે નિકળ્યા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.



અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ગાંધીનગર કોડીનાર રૂટની એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષામાં સવાર 4 માંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. એકને સામાન્ય અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતદેહ ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના નામ મુકેશભાઈ સવજીભાઈ તથા સિકંદરભાઈ  (ધારગણી) હોવાનું સામે આવ્યું છે.




દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સ્રજાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડ્યા હતા. અમદાવાદથી દાહોદ આવતી એસટીએ બે ગાડીને ટક્કર મારી હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


અમદાવાદના વટવા રિંગ રોડ ઉપર ગામડી ચાર રસ્તા પાસે વૃદ્ધ નોકરીથી સાયકલ લઇને ઘરે પરત જઇ રહ્યા હતા અને ગામડી ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઇસર ટ્રકના ડ્રાઇવરે વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


ગામડી ગામમાં  ભાથીજી મંદિર પાસે ઇન્દીરાનગર વિભાગ-૧માં રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના  પિતા  ગુરુવારે રાત્રીના સમયે અસલાલી ખાતે ખાનગી કંપનીમાં સિક્યરિટી ગાર્ડ તરીકેની નોકરી પૂરી કરીને સાયકલ લઇને ઘરે આવી રહ્યા હતા ત્યારે સાયકલ લઇને ગામડી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા  તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રકે તેમને ટક્કર મારી હતી હતી. જેથી તેઓ જમીન પર પટકાતા લોહી લુહાણ બેભાન હાલતમાં  તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટના અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.