ગુજરાતમાં આવેલા તૌક્તે વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. કેંદ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌક્તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


તૌક્તે વાવાઝોડાના પરિણામે નુકસાન અને નાશ પામેલા કાચા  અને પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સરવેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે. તૌક્તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.


અંશત: નુકસાન પામેલા કાચા - પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ.૧૦,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ - વાડાને થયેલા નુકસાન માટે રૂ.૫,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.