બનાસકાંઠા: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકોના મોત નિપજ્યા છે તો સેંકડો લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ રાજ્યના પૂર્વ ડિપ્ટી સીએમ નિતીન પટેલને ગાયએ અડફેટે લીધા હતા જેમાં તેમના પગમાં ઈજા થઈ છે. તો હવે મળતી માહિતી પ્રમાણે રખડતા ઢોરે વધુ એક જીવ લીધો છે. પાલનપુરના મેરવાડા ગામ પાસે રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું છે જ્યારે  2 વ્યક્તિને ઈજા પહોંચી છે. મેરવાડા નજીકથી પસાર થઈ રહેલા યુવકોની કાર સાથે આખલો અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, રખડતા ઢોરને લઈ એક અઠવાડિયામાં આ બીજું મોત છે.પાલનપુર તાલુકા પોલીસે યુવકના મોત મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રખડતા ઢોરને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


અમરેલીના પરિવારને નડ્યો અકસ્માત


ભાવનગર: વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  અકસ્માતનો ભોગ બનનાર આહીર પરિવાર અમરેલીનો રહેવાસી હતો. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર સુરતથી પરત અમરેલી જઈ રહ્યો હતો એ દરમિયાન વલભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જીલુંભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવવામાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશને બહાર કાઢવા માટે ફોરવીલ કારના પતરા તોડવા પડ્યા હતા.


શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન


શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ઝુનઝુનવાલાના મૃત્યુનું કારણ મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર હોવાનું કહેવાય છે. ડૉક્ટરોની ટીમ સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ રહ્યા નહોતા. ગત સાંજે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડી રહી હતી.