અંકલેશ્વરનાં અમૃતપુરાની પ્રાથમિક શાળાનાં બાળકો સાપુતારાનાં પ્રવાસની લક્ઝરી બસને ચીખલી નજીક પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં કુલ 57 વિદ્યાર્થીઓ પૈકી 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 3ની હાલત ગંભીર હોવાને કારણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત થતાં જ લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં હતાં.


અંકલેશ્વરનાં અમૃતપુરામાં જિલ્લા પંચાયત શિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળાનાં ધોરણ 4થી 8નાં વિદ્યાર્થીઓએ સાપુતારા પ્રવાસે જઈ રહ્યાં હતાં. આજે વહેલી સવારે 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અંકલેશ્વરથી નીકળ્યા હતા. તે દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી ખાઈ ગઈ હતી.

આ ગોઝારા અકસ્માતને પગલે 108ની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 23 જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.