અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનું પ્રદેશના નવા માળખાની રચના કરીને ગુરૂવારે સાંજે જેની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની ગુજરાતની મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફાર કરાયાં છે.


સી.આર. પાટીલે પાટીલે 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ છે તેમાં જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે. પાટીલે ભાજપ સંગઠનમાં વરસોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરોઓને તક આપી છે.

પાટીલે જૂના સંગઠનના 15 નેતાઓનાં પત્તાં કાપી નાખ્યાં છે. જીતુભાઈ વાઘાણીના સમયમાં જેમનો દબદબો હતો એવા આઇ.કે.જાડેજા , કે.સી.પટેલ , શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમાર જેવા દિગ્ગજોની બાદબાકી કરી દેવાઈ છે. આ ઉપરાંત જયસિંહ ચૈાહાણ, જશુબેન કોરાટ , જયશ્રીબેન પટેલ , રમીલાબેન બારા, મનસુખ માંડવિયા, અમિત ઠાકર, હર્ષદગીરી ગોસ્વામી , રાજેશ ચુડાસમા , રમણભાઇ સોલંકી , દર્શીનીબેન કોઠિયા , કીરણબેન પટેલને પણ પડતા મૂકાયા છે.

મનસુખ માંડવિયા કેન્દ્રીય પ્રધાન હોવાથી ગુજરાત સંગઠનની કામગીરી પર પૂરતું ધ્યાન ના આપી શકતા હોવાથી તેમની બાદબાકી સમજી શકાય એવી છે પણ અન્ય નેતાઓનાં પત્તાં કપાયાં છે એ સ્પષ્ટ છે.