ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પેટાચૂંટણીમાં ભાજપમાં પણ બળવો થયો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બળવો કરીને પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ભાજપના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.


પાટીલના આદેશથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી, ભૂપતભાઇ ઉનાવા અને શાંતિલાલ એમ. રાણવાનો સમાવેશ થાય છે. શાંતિલાલ એમ. રાણવા (અમરેલી જીલ્લા પ્રમુખ, અનુ.જાતિ મોરચો)એ બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પર બળોવ કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભૂપતભાઇ ઉનાવા (શહેર ઉપપ્રમુખ, બગસરા)એ અમરેલી જિલ્લાની ધારી અને જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી (ન.પા. સદસ્ય, વોર્ડ નં. ૦૯)એ મોરબી બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.

ભાજપા મીડીયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચના મુજબ વિધાનસભા પેટાચૂંટણીમાં સામે ઉમેદવારી કરવા બદલ આ ત્રણેય કાર્યકરોને ભાજપામાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે.