ભરૂચઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં. પાટીલે સ્પ।ટ શબ્દોમાં કહ્યું કે, હું પ્રદેશ પ્રમુખ બન્યો એ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં આવ્યાં હતાં અને તેમને ટિકિટ અપાઈ છે પણ હવે પછી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ લેશે નહીં.


પાટીલે કહ્યું કે, ખરીદ-વેચાણની ટેવ ભાજપની નથી પણ કોંગ્રેસની છે. અત્યારે પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવનારા ધારાસભ્યો પહેલાં લોકો સમક્ષ જાય છે અને પ્રજા મેન્ડેન્ટ આપશે તો તેઓ ફરી ચૂંટાશે. પ્રજા તેમને નકારશે તો ભાજપે કશું કહેવાનું રહેતું નથી.

ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે તે સામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પહેલાં પણ લાલ આંખ કરીને કહ્યું હતું કે, કૉંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. બે દિવસ પહેલાં જ ગુજરાતની વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ પ્રધાન આર.સી. ફળદુએ પાટીલથી જુદો સૂર કાઢીને કોંગ્રેસના નેતાઓને આવકારવાનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું કે, વિકાસ પ્રવાહમાં કોઈ પણ જોડાઈ શકે છે. પાટીલે બે દિવસમાં જ આ નિવેદનનો જવાબ આપી દીધો છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં.

ફળદુનું નિવેદન સી.આર. પાટીલના નિવેદનથી સાવ સામા છેડાનું હતું. કોઈ વિવાદ ના ઉભો થાય એટલે વાતને વાળવા તેમણે એવું કહ્યું કે, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનાં નિવેદનનો ઊંધો અર્થ ન કરો. જો કે પાટીલે પોતાના નિવેદનનો કોઈ ઉંધો કે સીધો અર્થ ના થાય એટલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં.