આ તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશો તો પડશે ધક્કો, જાણો કેટલા દિવસ રહેશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Oct 2020 08:01 AM (IST)
લોકડાઉન બાદ પહેલીવાર 17 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું.
અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓકટોબરથી 2 નવેમ્બર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. 31 ઓકટોબરે પીએમ મોદી કેવડિયા આવી રહ્યા હોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના અન્ય પ્રોજેક્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 31 ઓક્ટોબરે કેવડિયામાં યોજાનારી એકતા પરેડમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે. ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રોજેક્ટમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવાની હોય પ્રવાસીઓ માટે સાત દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 27 તારીખથી સ્ટેચ્ચૂ ઓફ યુનિટીની ઓનલાઈન ટિકિટનું બુકીંગ પણ બંધ કરી દેવાશે. 3 નવેમ્બરથી પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. લોકડાઉન બાદ પહેલીવાર 17 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. પ્રવાસીઓને કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એન્ટ્રી પણ તબક્કાવાર અને ટાઇમ સ્લોટ પ્રમાણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળો ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા.