અમદાવાદ:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ગઈ છે અને પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.  બીજી તરફ આ વખતે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંપલાવવા જઈ રહેલી આમ આદમી પાર્ટી પણ આ પ્રસંગે કોઈ કસર છોડવા માંગતી નથી.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસ ગુજરાત પ્રવાસે છે.   અમદાવાદમાં  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા.  મુખ્યમંત્રી કેજરીવાલે પદાધિકારીઓને શપથ લેવડાવતાં કહ્યું, ગુજરાતમાં આવનારા એક મહિનામાં બુથ લેવલ સુધીનું સંગઠન તૈયાર થશે. ગુજરાતમાં વિપક્ષ માટે નહી સરકાર બનાવવાનો કેજરીવાલે હુંકાર કર્યો છે.  


 


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું,  આપણે વિપક્ષમાં બેસવાનું નથી પરંતુ સરકાર બનાવવાની છે. ભાજપે ડેલીગેશન મોકલ્યું, પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ ન મળ્યું. દિલ્હીમાં પોલ ખોલવા આવેલું ભાજપનું ડેલિગેશન નિષ્ફળ. ખામી ન જણાતા ભાજપનું ડેલિગેશન પત્રકાર પરિષદ ન કરી શક્યું.  4 વાગ્યાની પ્રેસ રાખી અને બાદમાં કેન્સલ કરવી પડી. ગુજરાત આવી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી પણ અહીંપણ પત્રકાર પરિષદ ન કરી.


અમદાવાદ આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે જનતા સાથે દગો કર્યાનો આરોપ દિલ્હીના મુખ્યમંત્રીએ લગાવ્યો છે. મત આપ્યા છતા કૉંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, 2022ની ચૂંટણીમાં એકપણ મત કૉંગ્રેસને ન મળવો જોઈએ. કેજરીવાલે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કૉંગ્રેસ માત્ર કાગળ પરની પાર્ટી રહી છે. 


ભાજપ પર નિશાન સાધતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપ ગુજરાતમાં કૉંગ્રેસને નહી પરંતુ આમ આદમી પાર્ટીને નિશાન બનાવે છે. ગુજરાતમાં કૉંગ્રેસ પ્રચાર પ્રસાર કરવામાં નિષ્ફળ છે. તેમણે કહ્યું આવનારા એક મહિનામાં ભાજપ કરતા મોટું સંગઠન તૈયાર થશે. કેજરીવાલે કહ્યું ભાજપના એક-એક કાર્યકર ભાડુતી છે. ભાજપના એક-એક કાર્યકરને 10-10 હજાર રુપિયા આપવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું રાજનીતિમાં આવ્યા છીએ પરંતુ ભ્રષ્ટાચાર કરવા નહી.