રાજકોટ: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ તેમની સાથે હતા. ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. 






મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પોતાના ટ્વિટર પર હવાઈ નિરીક્ષણનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથના વેરાવળ, સોમનાથ, માંગરોળ, ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો ક્યાસ મેળવ્યો.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પૂર્ણ કરી જૂનાગઢમાં સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની  ઝીણવટ પૂર્વક વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાઓની વરસાદી સ્થિતિની   માહિતી પણ મેળવી હતી.  


આગામી 24 કલાક આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


હવામાન વિભાગે  આગામી 24 કલાક દ્વારકા જિલ્લામા ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી  છે.  ભારે વરસાદની શક્યતાને જોતા દ્વારકામાં  રેડ એલર્ટ જાહેર કરાયું છે.  જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગમાં ઓેરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સૂરત , વડોદરા , પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે.


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. તો આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર,વલસાડમાં ભારે વરસાદનો અનુમાન છે.   


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial