Bhupendra Patel Swagat program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂન મહિનાના રાજ્ય "સ્વાગત" કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા રજૂઆતકર્તાઓની સમસ્યાઓ શાંતિપૂર્વક સાંભળી અને તેમના નિવારણ માટે સંબંધિત વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા. લોકોની રજૂઆતો અને સમસ્યાઓના સુચારુ નિવારણ માટે ટેકનોલોજીયુક્ત અભિગમ "સ્વાગત" માં, મુખ્યમંત્રીએ ખાસ કરીને જિલ્લા કક્ષાના "સ્વાગત" માં લોકોની રજૂઆતોના નિવારણ માટે અપાયેલી સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, અરજદારો અને નાગરિકોને પોતાની નાની રજૂઆતો માટે રાજ્ય "સ્વાગત" સુધી આવવું જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવું એ અમારો લક્ષ્ય છે. તેમણે જૂન મહિનાના રાજ્ય "સ્વાગત" માં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તેમજ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
વિવિધ પ્રકારની રજૂઆતો અને કડક કાર્યવાહીના નિર્દેશ
જૂન 2025 ના આ રાજ્ય "સ્વાગત" માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓના નિર્માણ, જમીન મહેસૂલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતકર્તાઓને હકારાત્મક વલણ દાખવીને શાંતિપૂર્વક સાંભળ્યા હતા. મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં તેમણે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ પણ આપી.
ખેડૂતોને મોટી રાહત: કલમ 4ની નોંધ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય
એક સંવેદનશીલ નિર્ણય લેતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12 માં કલમ 4 ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવવાનો નિર્ણય કર્યો. આ નોંધ દૂર થવાથી હજારો ખેડૂતોને ફાયદો થશે.
આ ઉપરાંત, તેમણે રહેણાંક હેતુ માટેની સોસાયટીઓમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા કેસમાં કડક કાર્યવાહી કરવા, ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો, રોડ રસ્તા પરના દબાણ હટાવવાના, અને પર્યાવરણ જાળવણી સહિતના પ્રશ્નોને નાગરિકો પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી.
"સ્વાગત" કાર્યક્રમની સફળતાના આંકડા
જૂન મહિનાના "સ્વાગત" ઓનલાઈન કાર્યક્રમમાં, ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય "સ્વાગત" મળીને કુલ 3349 રજૂઆતો મળી હતી. તેમાંથી 50% થી વધુ, એટલે કે 1757 જેટલી રજૂઆતોનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે, જે આ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
જૂન 2025 ના રાજ્ય "સ્વાગત" માં કુલ 98 જેટલા અરજદારો રાજ્યભરમાંથી હાજર રહ્યા હતા. જેમાંથી 12 જેટલા અરજદારોને મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય "સ્વાગત" માટે આવેલા અન્ય 86 જેટલા અરજદારોની અરજીઓ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ સાંભળીને તે અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક તથા સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ રાજ્ય "સ્વાગત" કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તથા રાકેશ વ્યાસ, તેમજ સંબંધિત વિભાગોના સચિવો અને અધિકારીઓ રૂબરૂ તેમજ સંબંધિત જિલ્લા શહેરોના તંત્રવાહકો વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.