ગાંધીનગર : રાજ્યના 65 હજાર શિક્ષકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સરકારે 4200 ગ્રેડ પે મામલે સરકારે જૂનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જૂનો પરિપત્ર રદ્દ કરતા 65 હજાર શિક્ષકોને દર મહિને 8થી 9 હજાર રૂપિયાનો આર્થિક ફાયદો થશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, કે જૂનો પરિપત્ર રદ્દ કરવાની કાર્યવાહી આગામી એક સપ્તાહમાં પૂર્ણ થશે. તો શિક્ષકોના પ્રમોશન માટે પરીક્ષા લેવાનો નિયમ પણ પડતો મૂકાયો છે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.

શિક્ષણ વિભાગે તા. 25 જૂન 2019 ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા. 16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો. જો કે, હવે શિક્ષણ-વિભાગનો તા. 25 જૂન-2019 નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો બાદ આ પત્ર મૂળ અસરથી રદ કરવાનો નિર્ણય કરાયો છે.

પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.