Gujarat Assembly Election 2022: નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહી છે. ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધના પગલે ઉમેદવાર બદલવાની જરૂર પડી અને હવે આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખે રાજીનામું આપી દેતા ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મુઝવણમાં મુકાઈ છે. ગણદેવી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ ઉર્ફે અશોક કરાટેએ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પાર્ટીએ શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું.


વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


અશ્વિન નાયકાએ ગણદેવી વિધાનસભામાંથી 2017માં પણ ટિકિટની માંગણી કરી હતી પરંતુ એમને કોઈ કારણોસર પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહીં હતી. ફરી એકવાર 2022ની ચૂંટણીમાં અશ્વિન નાયકાએ ટિકિટની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા અન્ય એક ઉમેદવારને ટિકિટ આપી દેતા અશ્વિન નાયકા નારાજ દેખાઈ રહ્યા છે. હાલ તો એમણે પારિવારિક જવાબદારીનો હવાલો આપી અને રાજીનામું આપી દીધું છે પરંતુ એમના મુખે ચોક્કસ પાર્ટી અંગે નારાજગી દેખાઈ રહી છે. જો કે અશ્વિન નાયકાએ અન્ય કોઈ બીજી પાર્ટીમાં જોડાવાની હાલતો તૈયારી દર્શાવવી નથી પરંતુ કોંગ્રેસમાંથી ચોક્કસ એમણે સંન્યાસ લઈ લીધો છે.


સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.


તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.


અમરેલી ભાજપના ઉમેદવાર સામે અસંતોષ





ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અત્યાર સુધીનાં 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અમરેલીની સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાને ટિકિટ આપવામાં આવી છે. મહેશ કસવાલનું નામ જાહેર થયા બાદથી સાવરકુંડલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોનો કચવાટ છે. જેને લઈ પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ સાવરકુંડલા ના ઉમેદવાર જાહેર કર્યા હોવાની ચર્ચા થઈ હતી. મહેશ કસવાલા સામે કાર્યકરો અને દાવેદારએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.