અમદાવાદઃ ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે.


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.

આ પહેલાં ગુજરાત સરકાર પાસે હાઈકોર્ટે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન કરાશે એ અંગેની ખાતરી માંગી હતી. કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજી અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. તમે બધાને રાજી ન રાખી શકો, લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં.

(ફાઇલ તસવીર)

ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે. લોકો 1 વર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી નિર્દેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી નહીં પરંતુ 8 જાન્યુઆરીના રોજ આ અરજી પર સુનાવણી છે. હાઈકોર્ટે આ મુદ્દે એડવોકેટ જનરલને સરકાર પાસેથી નિર્દેશ લેવાનો આદેશ કર્યો છે.