અમદાવાદઃ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીને પ્રથમ તબક્કામાં  હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવી રહી છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. આજે 213 કેન્દ્રો પરથી 13,308 લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 92,122 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અને એકપણ વ્યક્તિમાં રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.64 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 707 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,763 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4345 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 4299 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4379 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 33, વડોદરામાં 20, સુરતમાં 14, રાજકોટમાં 12, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદ અને ગીર સોમનાથમાં 5-5, ભરૂચ-ગાંધીનગર-મોરબી-ગાંધીનગર કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા હતા.