ત્રણ દિવસ બાદ રાજ્યમાં આજે ફરી કોરોના વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજ માટે રાજ્ય સરકારે અમદાવાદને 30 હજાર રસીનો ડોઝ આપ્યો છે. અત્યાર સુધી અમદાવાદ મનપાને રસીના બે દિવસના એડવાંસ સ્ટોક મળી જતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી રસીનો મર્યાદિત સ્ટોક આવતો હોવાથી રોજેરોજના સ્ટોક આવી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાને આજના દિવસ માટે 30 હજાર ડોઝ આપ્યા છે. આજે અમદાવાદના 143 રસી કેંદ્રો પર 320 ટીમો રસીકરણની કામગીરીમાં જોડાશે.


તો રાજકોટને પણ આઠ હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. રાજકોટમાં આજે 80 રસી કેંદ્રો પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. તો સુરતમાં પણ 105 રસી કેંદ્રો પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.


દરેક સેંટર પર માત્ર 120 નાગરિકોને જ રસી આપવામાં આવશે. તો પહેલા અને બીજા ડોઝ માટે અલગ અલગ વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશ જનારા લોકો માટે વરાછા અને રાંદેર ઝોનમાં વ્યવસ્થા કરાઈ છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 56  કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક  દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ગઈકાલે 196 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1356  છે. જે પૈકી 8  દર્દી વેન્ટીલેટર પર છે.


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, અમરેલી 3, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2,ગીર સોમનાથ 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 4, , સાબરકાંઠા 1, સુરત 2,  સુરત કોર્પોરેશનમાં 10,  સુરેન્દ્રનગર 1, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 1 સહિત કુલ 56 કેસ નોંધાયા છે.


એક્ટિવ કેસની વાત કરીએ તો 1356 કુલ કેસ છે. જે પૈકી 8 લોકો વેન્ટીલેટર પર છે. 1348  લોકો સ્ટેબલ છે. 8,12,718 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.