અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 250થી વધારે નોંધાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તમામ રાજકીય પક્ષોના નેતા અને કાર્યકરોએ કોરોનાના નિયમના સતત ધજાગરા ઉડાવ્યા છે.


તમામ પાર્ટીઓ મતદારોને મતની ભૂખની લ્હાયમાં એવું તે ભાન ભુલ્યા છે કે ચૂંટણી સભા અને રેલીઓમાં ભારે ભીડ કરે છે અને આ ભીડમાં કેટલાક કાર્યકરો અને નેતાઓ માસ્ક વગર જોવા મળે છે. ત્યારે રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસનો આંકડો 250ને પાર જઈ રહ્યો છે. જો રાજકીય પક્ષોના કાર્યકરો અને નેતાઓ નહીં સમજે તો દિવાળી સમયે જે પ્રકારે કોરોના વકર્યો તે પ્રકારે થવાની સંપૂર્ણ શક્યતા છે.

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના 266 નવા કેસ નોંધાયા હતા જ્યારે 277 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.72 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશમાં 1 મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4404 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 1684 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1654 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.