કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોના પગલે ફિલિપાઈન્સમાં 200થી પણ વધારે ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ફિલિપાઈન્સ સરકારે દેશમાં કોવિડ-19 વાઈરસના પગલે પરિસ્થિતિ કથળતાં વતન પરત જવા ઈચ્છતાં લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને ત્યારબાદ પાટનગર મનીલા અને તેની આસપાસના 12 કિલોમીટરના એરિયામાં લોકડાઉન જેવી સ્થિતિ અમલમાં મુકાય તેવા સંજોગોમાં ગુજરાતના 120 વિદ્યાર્થી સહિત 200થી પણ વધારે ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


ફિલિપાઈન્સમાં તબીબી અભ્યાસ કરતાં ગુજરાતના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ સરકારે 72 કલાકની મુદત આપી છે પરંતુ ભારત સરકારે તકેદારી માટે ફિલિપાઈન્સથી આવતી ફ્લાઈટને લેન્ડ ન થવા દેવાનો નિર્ણય કર્યો હોવાથી અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને ફસાયેલા અન્ય લોકો સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર તેમને 19મી માર્ચ પૂર્વે ભારત પરત આવી શકે તેવી વિનંતી કરી રહ્યા છે.

ફિલિપાઈન્સમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસે ભરડો લીધો છે. અત્યાર સુધીમાં 190 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 14 દર્દીઓનાં મોત થયા નિપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. લોકો વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.