ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 326 નવા કેસ નોંધાયા છે અને વધુ 22 લોકોના મોત થયા છે. જ્યારે આજે 123 દર્દીઓએ કોરાના ભરડામાંથી બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4721 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 236 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.




અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 26, વડોદરા-19,મહિસાગર 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા,બોટાદ,ગાંધીનગર,ક્ચ્છ,પાટણમાં 1-1 કેસ નવા સામે આવ્યા છે.



સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મોત થયા છે. જેમાંથી 10ના મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 12નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કના કારણે થયા છે. આજે અમદાવાદમાં-16, સુરતમાં-1, વડોદરા 4 પંચમહાલ 1 મોત થયું છે. કુલ મૃત્યુઆંક 236 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 4721 કોરોના કેસમાંથી 36 દર્દી વેન્ટિલેટર પર છે અને 3713 સ્ટેબલ છે. મૃત્યુઆંક 236 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 736 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 68774 ટેસ્ટ થયા જેમાંથી 4721 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.