અમદાવાદઃ રાજ્યમાં નવેમ્બરની શરૂઆતથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે રાજ્યમાં 900થી ઓછા કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે.


રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  બનાસકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોનાં કરૂણ મોત થયા હતા. એટલે કે માત્ર અમદાવાદ અને સુરતમાં જ ત્રણ મળી રાજ્યમાં થયેલા કુલ મોતના 75 ટકા મૃત્યુ નોંધાયા હતા. આજે સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156 કેસ નોંધાયા હતા, જ્યારે બંને શહેરમાંથી અનુક્રમે 169  અને 99 લોકો ડીસ્ચાર્જ થયા હતા.

રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.  રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,536 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.