ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગના મતે  વાવાઝોડું ફંટાઇ શકે છે.  આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે ચક્રવાતી તોફાન.  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. 






વાવાઝોડાને લઈ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટનું અનુમાન છે કે બિપરજોય  વાવાઝોડું અતિ શક્તિશાળી બનશે.  12 જૂનથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ફંટાશે.  11 અને 12 જૂને ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.   ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી અપડેટ અનુસાર બિપરજોય ચક્રવાત હાલ ગોવાથી 720 કિમી, મુંબઇથી 720 કિમી, પોરબંદરથી 740 કિમી, દક્ષિણ કરાચીથી 1050 કિમી દૂર છે.


બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 


બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યમાં તીવ્ર ગતિના પવનની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 15 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને 11 ટીમોને સજ્જ રાખવામાં આવી છે.


દરિયા કાંઠાના વિસ્તારોમાં સરેરાશ 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેમ જેમ ચક્રવાત દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ વધશે અને તેની ઝડપી 55- 60 કિમી સુધી પહોંચી શકે છે.


ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયા કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડનો તીથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે.