Dakor Annakut tradition: પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે, નવા વર્ષ નિમિત્તે, રાજા રણછોડરાયજીને પરંપરાગત રીતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આશરે 250 વર્ષથી ચાલી આવતી આ અનોખી ધાર્મિક પ્રથા અંતર્ગત, આસપાસના 75 ગામના ક્ષત્રિય સમાજના લોકોને આ પ્રસાદ લેવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. બપોરે 2:00 કલાકે મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ, 'જય રણછોડ'ના નાદ સાથે, ભક્તો માત્ર 11 મિનિટના ટૂંકા ગાળામાં 151 મણનો સમગ્ર અન્નકૂટ પ્રસાદ લૂંટી ગયા હતા. આ અન્નકૂટમાં બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પકવાનોનો મહાપ્રસાદ સામેલ હતો. ગોવર્ધન પર્વતને શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ઊંચક્યો હતો, તેની યાદમાં આ પરંપરા ચાલી આવે છે. સુરક્ષા માટે SP સહિત પોલીસનો મોટો કાફલો તૈનાત રહ્યો હતો.

Continues below advertisement

ડાકોરની અનોખી પરંપરા: દ્વાર ખૂલતાં જ 11 મિનિટમાં પ્રસાદની લૂંટ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરમાં દિવાળીના બીજા દિવસે, એટલે કે બેસતા વર્ષે, અન્નકૂટ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં મંદિરના દ્વાર ખૂલતાંની સાથે જ, પ્રસાદને લૂંટવાની વર્ષો જૂની ધાર્મિક પરંપરા જોવા મળી હતી. આ વખતે ઠાકોરજીને 151 મણનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં કેસર, ચોખા, બેસન, શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈઓ, બુંદી, ભાત, ફ્રૂટ્સ અને અન્ય મિષ્ટાનની વાનગીઓનો સમાવેશ થતો હતો. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવીને ખાસ સજાવટ કરવામાં આવી હતી.

Continues below advertisement

આ પરંપરા મુજબ, મંદિર પ્રશાસન દ્વારા આસપાસના 75 ગામના ક્ષત્રિય ભાઈ-બહેનોને આ પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બપોરે 12:00 કલાકે અન્નકૂટ પીરસવામાં આવ્યા બાદ, બપોરે 2:00 કલાકે મંદિરના દ્વાર ખૂલતાં જ આમંત્રિત ભક્તો 'જય રણછોડ'ના જયઘોષ સાથે અન્નકૂટ પર તૂટી પડ્યા હતા. ભારે ઉત્સાહ વચ્ચે, માત્ર 11 મિનિટના ટૂંકા સમયગાળામાં જ 151 મણનો તમામ પ્રસાદ લૂંટી લેવામાં આવ્યો હતો. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઊમટી પડ્યા હતા.

અન્નકૂટ લૂંટવાની ધાર્મિક કથા અને તેનું મહત્ત્વ

ડાકોરના સ્થાનિક નિષ્ણાતોના મતે, આ પ્રથા આશરે 250 વર્ષ થી, એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી ચાલી આવે છે. આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીએ ઊંચકવાની ઘટનાના સન્માનમાં શરૂ થઈ હતી, જેને પગલે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ધરાવવામાં આવે છે.

આ અન્નકૂટમાં આસપાસના વિસ્તારના ખેતરના માલિકો પોતાના પાકનો પહેલો ફાલ ભગવાનને ધરાવે છે. લૂંટેલા આ પવિત્ર પ્રસાદને લઈ જનાર લોકો પોતાના પરિવારજનો, જરૂરિયાતમંદો અને પશુઓને ખવડાવે છે, તેમજ ઘરે પરત ફરતી વખતે બહાર ઊભેલા અન્ય ભક્તોને પણ પ્રસાદી આપે છે. ગુજરાતમાં માત્ર ડાકોરનું મંદિર જ એકમાત્ર એવું છે, જ્યાં પ્રસાદ વહેંચાતો નથી, પણ લૂંટવામાં આવે છે. કહેવાય છે કે ભારતમાં રાજસ્થાનના નાથદ્વારા અને ગુજરાતના ડાકોર માં જ અન્નકૂટ લૂંટવાની આ અનોખી પ્રથા વર્ષોથી ચાલી આવી છે. આજના પવિત્ર પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SP અને DYSP સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ખડે પગે તૈનાત રહ્યો હતો.