નડિયાદ: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરના દ્વાર 30 દિવસ બાદ 19 ઓગસ્ટ એટલે આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોએ દર્શન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વાની વાત એ છે કે, હાલ સુરત જિલ્લાના દર્શનાર્થીઓને પ્રવેશ આપાવમાં આવશે નહીં.


ડાકોર મંદિરની કમિટીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઇન પ્રમાણે ડાકોર મંદિર 19 ઓગસ્ટ એટલે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે ભક્તોએ મંદિરની વેબસાઈટ કે મંદિરની મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવીને ઈ-ટોકન મેળવવાનું રહેશે. આ ટોકન દર્શન પ્રવેશદ્વારે બતાવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ભક્તોએ આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. દર્શનાર્થીઓએ વાહનો કે અન્ય સ્થળે પગરખા મૂકીને જ દર્શન કરવા આવવું પડશે. પરિસરમાં પગરખા સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં.

મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોનુ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. કોઈ વ્યક્તિ બિમાર જણાય તો તેને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરની આસપાસ કોરોનાના કેસ વધતા 20 જુલાઈથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા.