અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી અને પ્રદેશ સંગઠનમાં પોતાની નવી ટીમની રચના કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પાટીલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે અને ત્યાર બાદ રાજ્યના અન્ય વિસ્તારોની મુલાકાતે પણ જશે. એ પછી સંગઠનમાં નિમણૂંકોનો દોર હાથમાં લેશે.


પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં રોકાશે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના નેતાઓને અલગ-અલગ જૂથમાં મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી.આર.પાટીલ ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગીર સોમનાથ જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે જ્યારે પ્રદેશ ભાજપનાં પટેલ નેતા ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે રહેશે.

ભાજપનાં સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે પાટીલે ચૂંટણીલક્ષી ચર્ચાની સાથે સંગઠનમાં નિમણૂંકોની ક્વાયત પણ હાથ ધરી છે. ચૂંટણીલક્ષી બાબતો અને સંગઠનની બાબતની ચર્ચા માટે કોને-કોને મળવું તે અંગેની યાદી તૈયાર થઇ રહી છે. સી. આર. પાટીલે આ જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતા અને ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાને સોંપી હોવાનું એક ગુજરાતી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ પ્રથમ વાર સૌરાષ્ટ્ર જઇ દરેક જિલ્લાના કાર્યકરો અને સંગઠનના નેતાઓને મળશે. પાટીલ સૌરાષ્ટ્રમાં આરએસએસ સાથે સંકળાયેલાં નેતાઓને પણ મળવાના છે.